
હવે પૂજારા 7 વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરી રહ્યો છે. તે આ વિશે ખૂબ ઉત્સુક છે…
આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થશે. આ વર્ષની આઈપીએલમાં, ભારતનો ‘ટેસ્ટ નિષ્ણાત’ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા લાંબા ગાળાની ગેરહાજરી બાદ ફરીથી રમતા જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝન માટે તેને સાઇન કર્યા છે. પરંતુ હવે આ સિઝન પૂર્વે ચેતેશ્વર પૂજારાએ મોટી પ્રતિક્રિયા આપી છે. પૂજારાએ ખુલાસો કર્યો છે કે તે ગુજરાત લાયન્સ માટે રમવા માંગતો હતો, જે થોડા સમય પહેલા આઈપીએલનો ભાગ હતો. પૂજારાએ જણાવ્યું હતું કે, તે સમયે આ ટીમમાં પસંદગી ન થતાં હું નિરાશ હતો.
ગુજરાત લાયન્સ 2016 અને 2017 માં આઈપીએલનો ભાગ હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આનાથી આઈપીએલમાં ગુજરાત લાયન્સને તક મળી. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ રાજકોટ હતું, જે ચેતેશ્વર પૂજારાનું હોમ ગ્રાઉન્ડ પણ હતું. આથી જ પૂજારા તે ટીમમાં તક મેળવવા માંગતો હતો. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતાં પૂજારાએ કહ્યું, “જ્યારે મને ગુજરાત લાયન્સ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો ત્યારે મને ખરાબ લાગ્યું હતું. પરંતુ તે બાબતો મારા હાથમાં નહોતી. જો હું તે ટીમનો ભાગ હોત તો હું ખુશ થાત. પરંતુ હવે સમય આવી ગયો છે. તેને ભૂલી જાઓ અને આગળ વધો.”
