મહેન્દ્ર સિંહ ધોનીએ 2014ના IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં IPS અધિકારી વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ધોનીની માગણી છે કે આઈપીએસ અધિકારી જી. સંપત કુમારને નોટિસ મોકલવી જોઈએ અને કેસ નોંધવો જોઈએ.
માહિતી અનુસાર, 2014માં મહેન્દ્ર સિંહ ધોનીએ તત્કાલિન પોલીસ મહાનિરીક્ષક સંપત કુમારને મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ સંબંધિત કોઈપણ નિવેદન આપવાથી કાયમી ધોરણે રોકવા માટે સિવિલ દાવો દાખલ કર્યો હતો. તેણે કોર્ટને નુકસાની માટે ₹100 કરોડની ચુકવણીનો નિર્દેશ આપવા વિનંતી પણ કરી હતી.
18 માર્ચ 2014ના રોજ પસાર કરાયેલા વચગાળાના આદેશે સંપત કુમારને ધોની વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવા પર રોક લગાવી હતી. આ આદેશ હોવા છતાં, સંપત કુમારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કરી હતી જેમાં તેમની સામેના કેસોમાં ન્યાયતંત્ર અને વરિષ્ઠ સરકારી વકીલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. સંપતે કથિત રીતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મુદ્ગલ કમિટીના ભાગોને સીલબંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તે વિશેષ તપાસ ટીમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હતો. આ મામલો મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટ ડિસેમ્બર 2021માં તેની સુનાવણી કરવા સંમત થઈ હતી.
આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડ 2013માં પ્રકાશમાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચવ્હાણ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. તપાસમાં સટ્ટાબાજીનો ખુલાસો થયો હતો. રાજસ્થાનના તત્કાલીન સહ-માલિક રાજ કુન્દ્રા અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ આ ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી ગયો હતો.
