IPL

IPL: રિદ્ધિમાન સાહાએ હવે ઈડન ગાર્ડન્સને પોતાનું હોમ ગ્રાઉન્ડ માનવાનો ઈન્કાર કર્યો

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)થી ખૂબ જ નારાજ કહેવાતા વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ બંગાળની ટીમ માટે રણજી ટ્રોફીનો નોકઆઉટ રાઉન્ડ રમવાનો ઇનકાર કરી દીધો છે અને હવે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમને તેના સ્ટેડિયમ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહેલા રિદ્ધિમાને મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામેની ક્વોલિફાયર-1 મેચની પૂર્વસંધ્યાએ મીડિયા સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. CAB વિશે તેમની નારાજગી તેમના શબ્દોમાં સ્પષ્ટ દેખાતી હતી.

પ્રશ્નો દરમિયાન, જ્યારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમને તેનું હોમ ગ્રાઉન્ડ કહેવામાં આવ્યું, ત્યારે રિદ્ધિમાને બેફામપણે કહ્યું – ‘હું અહીં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, મારું હોમ ગ્રાઉન્ડ ઈડન નહીં, પરંતુ મોટેરા સ્ટેડિયમ છે. હું KKRનો ભાગ નથી તેથી ઈડન મારું હોમ ગ્રાઉન્ડ નથી. ભૂતકાળમાં મેં અહીં ઘણી મેચ રમી છે પરંતુ હવે હું અહીં ઘરથી દૂર રમવા આવ્યો છું.

નોંધનીય છે કે આ સિઝનમાં હજુ સુધી મોટેરા સ્ટેડિયમમાં IPLની એક પણ મેચ યોજાઈ નથી. રિદ્ધિમાન ભારતીય ટેસ્ટ ટીમમાંથી હાંકી કાઢવાના સમયે તેના રાજ્ય ક્રિકેટ એસોસિએશન CAB તરફથી સમર્થન ન મળવાથી નારાજ છે અને CAB પદાધિકારીએ રણજી લીગ રાઉન્ડ ન રમવા બદલ બંગાળની ટીમ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

એક સવાલના જવાબમાં રિદ્ધિમાને કહ્યું- ‘હું અહીં ક્વોલિફાયર-1 મેચ રમવા આવ્યો છું. મારું ધ્યાન તેના પર છે, તેથી ટીમ ઈન્ડિયામાં પસંદગી અંગે વિચારી રહ્યો નથી. મારો ઉદ્દેશ્ય બેટિંગ અને વિકેટકીપિંગમાં યોગદાન આપવાનો છે. મારા માટે ટીમ પ્રથમ છે, વ્યક્તિગત પ્રદર્શન પછી. અંગત સિદ્ધિઓ મારા માટે બોનસ જેવી છે. હું આ પહેલા પણ ક્વોલિફાયર અને આઈપીએલ ફાઈનલ રમી ચૂક્યો છું તેથી હું આ મેચોની સ્થિતિથી વાકેફ છું પરંતુ તે અન્ય મેચોની જેમ જ છે. આ માટે કંઈ અલગ કરવાની કોઈ યોજના નથી.

Exit mobile version