ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે જો મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2022ની સીઝનની શરૂઆતમાં ટીમની કેપ્ટન્સી ન છોડી હોત અને આ પદ પર રહ્યા હોત તો આ ટીમની આટલી ખરાબ હાલત ન થઈ હોત.
આ સિઝનની શરૂઆતમાં ધોનીએ CSK ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાના કેપ્ટન બન્યા બાદ ટીમના પ્રદર્શન પર ખરાબ અસર પડી હતી અને તેણે 8 મેચ બાદ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ધોનીને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી હતી.
CSK ટીમમાં આ હાઈ વોલ્ટેજ ડ્રામા વિશે વાત કરતા મોહમ્મદ કૈફે સ્પોર્ટ્સકીડાને કહ્યું કે ધોની માટે CSK ટીમની કેપ્ટનશીપ છોડવી એ મોટી ભૂલ હતી. જો ધોની પ્લેઈંગ ઈલેવનમાં હોય તો તે ટીમનો કેપ્ટન હોવો જોઈએ. રવિન્દ્ર જાડેજા સ્પષ્ટપણે કેપ્ટનશીપ માટે તૈયાર નહોતો. T20 ક્રિકેટમાં તમારે ઝડપી નિર્ણય લેવાની જરૂર છે અને તેના માટે તમારે સ્પષ્ટ મન હોવું જરૂરી છે. આ સિવાય તેણે ડેવોન કોનવે જેવા સર્વશ્રેષ્ઠ બેટ્સમેનને શરૂઆતમાં માત્ર એક જ મેચ બાદ પડતો મૂક્યો હતો.
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની 8 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી ટીમ 2 જીતી હતી અને 6 મેચ હારી હતી. કેપ્ટનશિપના કારણે જાડેજાના પ્રદર્શન પર પણ અસર પડી રહી હતી અને તેના કારણે તેણે ફરીથી ધોનીને કેપ્ટનશિપ આપવાની પહેલ કરી હતી. ધોનીના કેપ્ટન બન્યાની કેટલીક મેચો પછી તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને પછી ઈજાને કારણે તે આ સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.
જો કે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે જાડેજા અને CSK ફ્રેન્ચાઈઝી વચ્ચે વસ્તુઓ બરાબર નથી, ટીમના સીઈઓ કાસી વિશ્વનાથ કહે છે કે તેમાં કંઈ ખોટું નથી અને જાડેજા તેમની ટીમની ભાવિ યોજનાઓનો એક ભાગ છે.