ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઈજાઓ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પછી તે આંતરરાષ્ટ્રીય મંચ હોય કે સ્થાનિક, ભારતીય ખેલાડીઓની ફિટનેસ પ્રશ્નના ઘેરામાં રહે છે. એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતામાં વધારો કરી રહી છે. તો બુધવારે ઈંગ્લેન્ડના રોયલ લંડન કપ દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળી રહેલો પૃથ્વી શૉ પણ ઈજાગ્રસ્ત થયો હતો.
ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિકલે ગુરુવારે પોતે પુષ્ટિ કરી હતી કે અંગૂઠામાં ફ્રેક્ચર થવાને કારણે તે ત્રણથી ચાર અઠવાડિયા માટે રમતમાંથી બહાર રહેશે. 2021માં ભારત માટે બે T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર પડિકલને આ મહિનાની શરૂઆતમાં દેવધર ટ્રોફીમાં રમતી વખતે ઈજા થઈ હતી. ઈજાના કારણે પડિક્કલ અહીં ચાલી રહેલી મહારાજા KSCA T20 ટૂર્નામેન્ટમાં પણ રમી રહ્યો નથી. તેની પસંદગી ગુલબર્ગા મિસ્ટિક્સની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ઈજાના કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું.
ફેનકોડ સાથે વાત કરતા, પડિકલે તેની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું, “દેવધર ટ્રોફી દરમિયાન મારા ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. તેથી તેની સારવાર માટે મારે નાની સર્જરી કરાવવી પડી. હવે હું કદાચ ત્રણથી ચાર અઠવાડિયા એટલે કે લગભગ એક મહિના માટે રમતથી દૂર રહીશ. મને આશા છે કે હું જલ્દી જ મેદાનમાં પરત ફરી શકીશ.
