
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટ કર્યું છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન કોઈપણ રીતે હસ્તક્ષેપ કરશે નહીં. રિપોર્ટ અનુસાર, ICC એ સ્પષ્ટ કર્યું છે કે આ બંને દેશો વચ્ચેનો મામલો છે અને ICC દ્વિપક્ષીય મેચમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં. હાલમાં જ ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જે બાદ બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો સુધરે તેવી શક્યતાઓ હતી.
ICCના વચગાળાના CEO જ્યોફ એલાર્ડિસે કહ્યું, “ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણીમાં ICC દખલ કરી શકે નહીં. ICC ટૂર્નામેન્ટમાં જ્યારે બંને ટીમો આમને-સામને હોય ત્યારે ખૂબ જ મજા આવે છે, પરંતુ બંને બોર્ડ વચ્ચેનો સંબંધ એવો છે, જેને ICC કોઈ પણ સંજોગોમાં પ્રભાવિત કરવા માંગતું નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે બગડી ગયા છે અને છેલ્લા આઠ વર્ષથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. છેલ્લી વખત બંને ટીમો વચ્ચે 2012-13માં શ્રેણી રમાઈ હતી.
