ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવા કહ્યું છે, ખાસ કરીને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા. કોહલીએ નવેમ્બર 2019 થી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી અને તે હાલમાં તેના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.
તાજેતરમાં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં વિરાટ કોહલી ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, જ્યાં ઈંગ્લેન્ડે સાત વિકેટે આરામદાયક જીત નોંધાવી હતી. કોહલી માટે, આ મેચ ભૂલી જવા જેવી હતી કારણ કે તે મેચની બંને ઇનિંગ્સમાં (11 અને 20) માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. બીજા દાવમાં તે બેન સ્ટોક્સની શાનદાર બોલ પર આઉટ થયો હતો.
આ દરમિયાન વિરાટ કોહલી અંગે માઈકલ વોને કહ્યું કે, હું ખાસ કરીને વિરાટને જોઉં છું. હું જાણતો હતો કે આઈપીએલના અંતે તેને થોડો આરામ મળ્યો હતો. પરંતુ તેને જોઈને મને લાગે છે કે તેને આરામની જરૂર છે. લાગે છે કે તેણે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું જોઈએ.
તેણે આગળ કહ્યું, “જાઓ અને તમારા પરિવાર સાથે જે કરી શકો તે કરો. શું આ ત્રણ મહિનાનો બ્રેક લેવાથી તેના પર અસર થશે? શું આ તેને મદદ કરશે? હા.”
દરમિયાન, કોહલીની સાથે સુકાની રોહિત શર્મા, વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામે 22 જુલાઈથી શરૂ થનારી ODI શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.