ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ એક મોટો મુદ્દો બની ગયો છે. વિશ્વભરના તમામ દિગ્ગજ ક્રિકેટરો અને નિષ્ણાતોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કેટલાક કહે છે કે વિરાટને હવે પડતો મુકવો જોઈએ, તો કેટલાક કહે છે કે તેને વધુ ચાન્સ મળવો જોઈએ, પરંતુ જ્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને વિરાટના ફોર્મ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેના જવાબે બધાને શાંત કરી દીધા.
આફ્રિદીએ સ્પોર્ટ્સ પાક ટીવી પર કહ્યું, ‘મારી સલાહ સાથે તેને શું લેવાદેવા છે? તેણે સારું પ્રદર્શન કરવું પડશે કારણ કે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેણે પોતાના પ્રદર્શનથી લોકોમાં આ આશા જગાવી છે અને પોતાના માટે એક સ્ટાન્ડર્ડ સેટ કર્યો છે. આગામી સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપની મેચો રમાવાની છે. આફ્રિદીએ પાકિસ્તાની ટીમને પણ આ અંગે ચેતવણી આપી છે.
તેણે કહ્યું, ‘જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે, આ ટીમ ઘણી સંતુલિત છે. મને આશા છે કે અમે માત્ર એશિયા કપમાં જ નહીં પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરીશું. મને આશા છે કે અમારા ખેલાડીઓ ફિટ રહેશે કારણ કે અમારી પાસે વધારે બેન્ચ સ્ટ્રેન્થ નથી. પરંતુ શરૂઆતના 11-12 ખેલાડીઓ ખૂબ જ મજબૂત છે. આશા છે કે તે અમને સારું પરિણામ આપશે.