નેપાળ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાણેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે સંદીપ લામિછાનેને કાઠમંડુની જિલ્લા અદાલતે અંતિમ ચુકાદા સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
જસ્ટિસ માધવ પ્રસાદ ઘીમરેની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. 6 ઓક્ટોબરે નેપાળ પોલીસે એક સગીર સાથે બળાત્કારના કેસમાં સંદીપ લામિછાનેની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં 17 વર્ષની સગીર યુવતીએ સંદીપ લામિછાણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી એક કોર્ટે સંદીપ લામિછાણે વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું, પરંતુ વિદેશમાં ક્રિકેટ લીગ રમી રહેલો સંદીપ પોતાના દેશ પરત આવ્યો ન હતો. નેપાળ પોલીસે સંદીપની ધરપકડ માટે ઈન્ટરપોલની મદદ લીધી હતી. ત્યારપછી ઈન્ટરપોલે સંદીપ વિરુદ્ધ ‘ડિફ્યુઝન’ નોટિસ જારી કરી હતી, જે બાદ તે નેપાળ પરત ફર્યો હતો. નેપાળ ક્રિકેટ એસોસિએશન (CAN) એ 8 સપ્ટેમ્બરે એક આદેશ જારી કરીને સંદીપને સસ્પેન્ડ કરી દીધો હતો.
સરકારી વકીલે લામિછાને સામે 12 વર્ષની સજાની માંગ કરી છે. પરંતુ લામિછાણેએ ઘણી વખત તેમની સામેના બળાત્કારના આરોપોને નકારી કાઢ્યા છે. લામિછાણેએ કહ્યું, ‘મને ખાતરી છે કે મને ન્યાય મળશે અને હું ટૂંક સમયમાં મારા પ્રિય દેશને ગૌરવ અપાવવા માટે ક્રિકેટના મેદાનમાં પરત ફરીશ. મારી નિર્દોષતા સાબિત કરવા માટે, હું તપાસના તમામ તબક્કે સંપૂર્ણ સહકાર આપીશ અને કાયદાકીય લડાઈ લડીશ. ન્યાય થવા દો.
સંદીપ લામિછાણે નેપાળનો એકમાત્ર ખેલાડી છે, જે વિશ્વભરની ક્રિકેટ લીગમાં રમ્યો છે. સંદીપ IPL રમનાર નેપાળનો પ્રથમ ક્રિકેટર પણ છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ અને લંકા પ્રીમિયર લીગ સહિત ઘણી લીગમાં રમ્યો છે.