ગુજરાતની રણજી ટીમનો અનુભવી ખેલાડી પ્રિયાંક પંચાલ સપ્ટેમ્બરમાં ભારત આવી રહેલી ન્યુઝીલેન્ડ A ટીમ સામે ભારત Aનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ભારત Aની કેપ્ટનશીપ કરનાર પંચાલને ફરી એકવાર આ જવાબદારી આપવામાં આવી શકે છે.
જોકે પંચાલ કોઈપણ કારણસર શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં તો હનુમા વિહારી ટીમનું નેતૃત્વ કરશે. પંચાલ હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ A ટીમ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. અહીં તે બેંગલુરુમાં ત્રણ ચાર દિવસીય મેચ અને ચેન્નાઈમાં ત્રણ વનડે રમશે. ન્યૂઝીલેન્ડ-એ અગાઉ 2017માં ભારતની મુલાકાતે આવ્યું હતું.
રણજી ટ્રોફીમાં સારો દેખાવ કરનારા ઘણા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરી શકાય છે પરંતુ ટીમ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને પણ તક આપવા માંગશે.