ભારતીય ટીમના અનુભવી ઓપનર શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે. આયેશા મુખર્જીએ મંગળવારે તેના નવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘આયેશા મુખર્જી’ પર આનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, આ ક્યારે થયું તે જણાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી આ મામલે શિખર ધવન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. વર્ષ 2012માં બંનેના લગ્ન થયા અને 2014માં આ દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ઝોરાવર છે. આયેશાને તેના પહેલા લગ્નથી બે પુત્રીઓ પણ છે.
આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશે લખ્યું કે એક વખત છૂટાછેડા લીધા પછી એવું લાગ્યું કે બીજી વખત ઘણું બધું દાવ પર લાગ્યું છે. મારી પાસે સાબિત કરવા માટે ઘણું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટી ગયા ત્યારે તે એકદમ ડરામણી હતી.
શિખર અને આયેશાના સંબંધોમાં ખટાશના અહેવાલો પહેલાથી જ હતા. બંનેએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કર્યા હતા. આઈપીએલ 2021માં ભાગ લેવા માટે શિખર ધવન અત્યારે યુએઈમાં છે. શિખર ધવન અને આયેશા મુખર્જીની લવ સ્ટોરીનો આ દુખદ અંત છે.
વર્ષ 2012માં જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે ઘણી ચર્ચા થઈ હતી. આયેશાના આ બીજા લગ્ન હતા જ્યારે શિખર પ્રથમ વખત બંધાયા હતા.

