ભારતીય ટીમને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ આ શ્રેણીમાં એક પણ મેચ જીતી શકી નથી.
બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ ટાઈ રહી હતી અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા બીજી અને ત્રીજી મેચ હારી ગઈ હતી. હવે ભારતીય ટીમે આગામી વનડે શ્રેણી પહેલા લાંબો બ્રેક લેવો પડશે. ટીમ ઈન્ડિયાની આગામી વનડે શ્રેણી હવે આવતા વર્ષે જ થશે.
ભારતીય ટીમ પાસે હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વન-ડે શ્રેણી હશે અને આ વનડે શ્રેણી ફેબ્રુઆરીની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે રમાશે. ટીમ ઈન્ડિયા આગામી શ્રેણીમાં શ્રીલંકા પ્રવાસ પર થયેલી ભૂલોનું પુનરાવર્તન કરવાનું પસંદ નહીં કરે. આ કારણોસર, કેટલાક ફેરફારો પણ જોવા મળી શકે છે.
1. મોહમ્મદ શમી:
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી બહાર છે. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો નહોતો. જો કે તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. ત્યાં સુધીમાં શમી સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને તેની અને બુમરાહની જોડી ઘાતક સાબિત થઈ શકે છે.
2.હાર્દિક પંડ્યા:
શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ટીમ ઈન્ડિયા હાર્દિક જેવા ખેલાડીને ODIમાંથી બાકાત રાખવા માંગતી નથી. તે ફિનિશરની ભૂમિકા પણ ભજવે છે અને ઈનિંગ્સ પણ પૂરી કરી શકે છે આ સિવાય તેની બોલિંગ પણ જબરદસ્ત છે. આ કારણોસર હાર્દિક પંડ્યાની વાપસી થઈ શકે છે.
3.રવીન્દ્ર જાડેજા:
રવિન્દ્ર જાડેજાએ ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તે હજુ પણ વનડે અને ટેસ્ટ રમશે. જો કે શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહોતું. હવે શક્ય છે કે તે ઈંગ્લેન્ડ સામેની આગામી વનડે શ્રેણીમાં વાપસી કરી શકે છે, કારણ કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તક આપવામાં આવી શકે છે.