દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા રોહિત શર્મા ઈજાના કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો અને હવે વિરાટ કોહલીએ મોટો ઝટકો આપતા વનડે સીરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો ત્યાર બાદ તેને આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. BCCI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જેના કારણે તે 3 ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ બની શકશે નહીં. તે જ સમયે, વિરાટ કોહલીના ODI શ્રેણીમાંથી હટવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તેને તેના પરિવારના બ્રેક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. કારણ કે, જે સમયે 3 વન-ડે મેચની સિરીઝ રમવાની છે, તે સમયે તેની પુત્રી વામિકનો પણ પહેલો જન્મદિવસ છે. અહેવાલ છે કે બીસીસીઆઈને આ જ દલીલ આપતા વિરાટે શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી હજુ સુધી ODI કેપ્ટનશીપ છોડવાના મૂડમાં નથી. પરંતુ, ગયા અઠવાડિયે, BCCIએ તેને હટાવીને રોહિત શર્માને ODIનો કેપ્ટન બનાવ્યો, જેના કારણે વિરાટ કોહલીએ ODIમાંથી ખસી ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમવા માંગતો નથી.
વિરાટ કોહલીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી અને ન તો પ્રેસ કોન્ફરન્સ કરી છે. ટેસ્ટ કેપ્ટન કોહલી પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે પરંતુ તેણે ત્યાં પણ તેના વિશે કંઈ લખ્યું નથી.

