કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બુધવારે (7 ઓગસ્ટ) શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી વનડેમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવ પાસે બે વિશેષ રેકોર્ડ બનાવવાની તક હશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
જો કુલદીપ ત્રણ વિકેટ લેશે તો તે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને પાછળ છોડી દેશે અને ભારત માટે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં દસમા સ્થાને પહોંચી જશે. કુલદીપે અત્યાર સુધી 105 ODI મેચોની 103 ઇનિંગ્સમાં 171 વિકેટ ઝડપી છે. જ્યારે ઈરફાનના નામે 120 મેચની 118 ઈનિંગ્સમાં 173 વિકેટ છે.
જણાવી દઈએ કે, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, અજીત અગરકર, ઝહીર ખાન, હરભજન સિંહ, કપિલ દેવ, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ પ્રસાદ, મોહમ્મદ શમી ફરી આ યાદીમાં કુલદીપથી આગળ રહેશે.
ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં ભુવનેશ્વર કુમારને પાછળ છોડવા કુલદીપને માત્ર 2 વિકેટની જરૂર છે.
ભુવનેશ્વર હાલમાં આ યાદીમાં 13મા નંબર પર છે અને તેણે ત્રણેય ફોર્મેટ સહિત 229 મેચોની 243 ઇનિંગ્સમાં 294 વિકેટ ઝડપી છે. જ્યારે કુલદીપે અત્યાર સુધીમાં તમામ ફોર્મેટ સહિત 157 મેચની 163 ઇનિંગ્સમાં 293 વિકેટ ઝડપી છે.
કુલદીપે શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ બે વનડે મેચમાં 3 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે હાલમાં શ્રીલંકાની ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી અને બીજી મેચમાં શ્રીલંકાએ શાનદાર જીત મેળવી હતી.