હૈદરાબાદમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ રાયપુર પહોંચી ગઈ છે. ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ શનિવારે રમાશે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે રાયપુરમાં વૈકલ્પિક પ્રેક્ટિસ કરી હતી.
જ્યાં મોટાભાગના ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જ્યારે કેટલાકે નેટ પર પ્રેક્ટિસ કરી હતી. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં બેટ્સમેન અને બોલરોનું શાનદાર પ્રદર્શન જોઈને બીજી મેચમાં રોહિત શર્મા માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવામાં મુશ્કેલી આવી શકે છે.
પ્રથમ ODIમાં, શુભમન ગિલે શાનદાર 208 રન બનાવ્યા હતા અને બુધવારે ભારતે 12 રને જીત મેળવી હતી. આ પર્ફોર્મન્સ સાથે શુભમને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમજ આનાથી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની ચર્ચા પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિરાટ કોહલી હૈદરાબાદમાં મોટા સ્કોરથી ચુકી ગયો હતો પરંતુ તે રાયપુરમાં પ્રદર્શન કરવા ઉત્સુક છે.
કેએલ રાહુલ રજા પર છે અને શ્રેયસ અય્યર બહાર છે, ભારત પાસે તેમની બેટિંગ લાઇન-અપમાં ફેરફાર કરવા માટે થોડા વિકલ્પો છે. ઇશાન કિશને છેલ્લી ગેમમાં ચોથા નંબર પર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક તેમની જગ્યાએ ચાલુ રહી શકે છે.
આ સાથે જ ભારતે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં સિરાજે 4 વિકેટ ઝડપી હતી જ્યારે શમીએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ બનાવ્યું હતું. શાર્દુલ ઠાકુરે પણ પોતાની છાપ છોડી દીધી છે. જો કે ડેથ ઓવરોમાં રન મર્યાદિત રાખવાની સમસ્યાને ભારત દૂર કરી શક્યું નથી. ઉમરાન મલિક શનિવારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ રમતા જોવા મળી શકે છે.
ન્યુઝીલેન્ડ સામેની બીજી ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર/ઉમરાન મલિક
