ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. વિરાટ કોહલી શ્રીલંકા સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને તેથી જ 2008 પછી એક એવો રેકોર્ડ તેના નામે નોંધાયો છે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.
વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. તે એક પણ મેચમાં મોટી ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલી માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. બીજી વનડેમાં તે 14 રન જ બનાવી શક્યો હતો અને ત્રીજી વનડેમાં તે 4 ચોગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયો હતો.
આ રીતે વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી 19.33ની એવરેજથી પૂરી કરી. શ્રીલંકા સામેની છેલ્લી સાત વનડે શ્રેણીમાં આ તેની સૌથી ઓછી સરેરાશ છે. આ પહેલા વિરાટ કોહલી શ્રીલંકા સામે દર વખતે 60ની એવરેજથી રન બનાવતો હતો, પરંતુ આ વખતે તેની એવરેજ માત્ર 19.33 રહી હતી.
આ પહેલા 2008માં વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની સિરીઝમાં 60થી ઓછી એવરેજથી રન બનાવ્યા હતા. તે તેની ડેબ્યૂ સિરીઝ હતી અને તે સિરીઝમાં કોહલીએ 31.80ની એવરેજથી રન બનાવ્યા હતા.
ભારત માટે આ આખી શ્રેણી ખૂબ જ ખરાબ રહી. સુકાની રોહિત શર્મા સિવાય કોઈ બેટ્સમેન વધારે સ્કોર કરી શક્યો નહોતો. રોહિત શર્માએ ત્રણેય મેચમાં શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તેને અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો નહોતો.
આ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ટર્નિંગ ટ્રેક પર સારી બેટિંગ કરવા માટે ભારતે યુક્તિ શોધવી પડશે.