ચેતેશ્વર પૂજારા હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને સસેક્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. પૂજારા ત્યાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર તેણે સદી ફટકારી છે.
આ વખતે તેણે વર્સેસ્ટરશાયર સામે આ અદ્ભુત પ્રદર્શન કર્યું. આ પહેલા પણ પૂજારાએ છેલ્લી મેચમાં ડર્બીશાયર સામે બેવડી સદી ફટકારી હતી અને અણનમ 201 રન બનાવ્યા હતા. જો કે તેણે ડર્બીશાયર સામે પ્રથમ દાવમાં 6 રન બનાવ્યા હતા, પરંતુ તે બીજી ઈનિંગમાં અણનમ 201 રન બનાવ્યા બાદ ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેનું ફોર્મ આગામી મેચમાં પણ ચાલુ રહ્યું હતું અને તેણે સતત બીજી સદી ફટકારી હતી.
વર્સેસ્ટરશાયર સામે પુજારાએ ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 14 ચોગ્ગાની મદદથી 184 બોલનો સામનો કરીને આ સદી પૂરી કરી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂજારાની આ 52મી સદી હતી. પૂજારાના ખરાબ ફોર્મના કારણે તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે શ્રીલંકા સામેની ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નહોતો.
તેને ભારતીય પસંદગીકારો તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આ ટેસ્ટ શ્રેણી માટે તેના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. આ પછી, એવું માનવામાં આવતું હતું કે હવે તે ભાગ્યે જ ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકશે, પરંતુ જે રીતે તે ઇંગ્લેન્ડમાં બેટિંગ કરી રહ્યો છે તે જોતા તેની ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતા છે.
આ મેચ પહેલા જો પૂજારાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે ઘણો સારો રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 227 મેચોની 376 ઇનિંગ્સમાં 51.05ની એવરેજથી 17,155 રન બનાવ્યા છે. આમાં તેણે 51 સદી અને 70 અડધી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 352 રન છે.