વિરાટ કોહલી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેની છેલ્લી ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં સુકાનીપદમાંથી નિવૃત્ત થયા પછી ટી-20 વર્લ્ડ કપ 2021 એ તેની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકેની છેલ્લી ટૂર્નામેન્ટ પણ છે. કોહલીએ કેપ્ટન તરીકે એક વખત પણ ICC ટાઇટલ જીત્યું નથી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર ડેનિશ કનેરિયાને લાગે છે કે વિરાટ કોહલી એકંદરે ‘નિષ્ફળ કેપ્ટન’ છે.
ICC ટી-20 વર્લ્ડ કપ 2021માં પણ સતત બે મેચ હાર્યા બાદ કોહલીની કેપ્ટનશિપની ટીકા થઈ રહી છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેની ટીમમાં બેટિંગ ઓર્ડરની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા.
ટીમની બોડી લેંગ્વેજ પર પણ સવાલ ઉઠ્યા છે. કોહલીએ પોતે પણ સ્વીકાર્યું છે કે ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામે પુરતી હિંમત દાખવી શક્યા ન હતા. ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતના નિરાશાજનક પ્રદર્શનના કારણો પર પોતાનો અભિપ્રાય આપતા કનેરિયાએ કહ્યું કે કોહલીની કેપ્ટન્સી તેની યાદીમાં નંબર 1 છે.
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા દાનિશ કનેરિયાએ કહ્યું, ‘ઘણા કારણો છે. પ્રથમ વિરાટ કોહલી છે – તે નિષ્ફળ કેપ્ટન રહ્યો છે. તેણે WTC ફાઇનલ્સ માટે ખોટી ટીમની પસંદગી કરી હતી. તે ઓસ્ટ્રેલિયામાં હતો ત્યાં સુધીમાં ભારત હારી ગયું અને પછી અજિંક્ય રહાણે કેપ્ટન બન્યો અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયો. તેમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી એક મોટો ખેલાડી છે પરંતુ મેં તેનામાં ક્યારેય કેપ્ટનશિપની ક્ષમતા જોઈ નથી.
Not the result we wanted, but we will look to bounce back in the matches ahead. #TeamIndia #T20WorldCup #INDvNZ pic.twitter.com/A61JjoITe1
— BCCI (@BCCI) October 31, 2021
ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી દરમિયાન, કોહલીએ ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારત માટે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તેની યોજના જાહેર કરી હતી. પરંતુ ટૂર્નામેન્ટમાં, રોહિત શર્મા અને કેએલ રાહુલ પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ઓપનિંગ કરવા ઉતર્યા હતા. કનેરિયાનું માનવું છે કે ટીમમાં સર્વશ્રેષ્ઠ સંયોજન અંગે કોહલીની વિચારસરણીમાં મતભેદ છે.

