ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે ICC ટી-20 વર્લ્ડ કપ 2021 ની 37મી મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્મા પાસે વિરાટ કોહલી અને માર્ટિન ગુપ્ટિલની ખાસ ક્લબમાં સામેલ થવાની મોટી તક છે.
અફઘાનિસ્તાન સામે ધમાકેદાર ઇનિંગ રમનાર રોહિત શર્મા જો આજની મેચમાં 48 રન બનાવી લે છે તો ટી-20I ક્રિકેટમાં તેના 3000 રન પૂરા થઈ જશે. વિરાટ કોહલી અને માર્ટિન ગુપ્ટિલ જ એવા બે બેટ્સમેન છે જેઓ અત્યાર સુધી વિશ્વ ક્રિકેટમાં આ તબક્કે પહોંચ્યા છે.
રોહિત શર્માએ ભારત માટે 114 ટી-20I મેચ રમી છે જેમાં તેણે 32.43ની એવરેજથી 2952 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિતના નામે 4 સદી છે. ટી-20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની વાત કરીએ તો, વિરાટ કોહલી 3225 રન સાથે ટોચ પર છે, જ્યારે ગુપ્ટિલ 3087 રન સાથે બીજા સ્થાને છે.
હવે ભારત માટે દરેક મેચ કરો યા મરો છે. પાકિસ્તાન સતત ચાર જીત સાથે સેમિફાઈનલમાં પહોંચી ગયું છે અને ન્યુઝીલેન્ડ પણ ગ્રુપ 2માં પહોંચે તેવી શક્યતા છે. જો ન્યુઝીલેન્ડ નામીબિયા કે અફઘાનિસ્તાન સામે હારે છે તો ભારતની આશા બંધાઈ શકે છે. જોકે ભારતીય ટીમ તેના હાથમાં શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને ટીમની નજર સ્કોટલેન્ડને મોટા અંતરથી હરાવવા પર છે.

