T-20

આયર્લેન્ડે મોહમ્મદ આમિરને વિઝા ન આપી, સિરીઝ રમવા અંગે શંકા ઉભી થઈ

Pic- probatsman

મોહમ્મદ આમિર વિઝાના અભાવે પાકિસ્તાની ટીમ સાથે આયર્લેન્ડ જઈ શક્યો ન હતો. આમિર યુનાઇટેડ કિંગડમનો કાયમી નાગરિક છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીના જણાવ્યા અનુસાર, આમિરે પાકિસ્તાન ટીમના અન્ય સભ્યો સાથે વિઝા માટે અરજી કરી હતી પરંતુ મંગળવારે ડબલિન જતા પહેલા માત્ર આમિરને વિઝા મળી શક્યો ન હતો.

પીસીબીના અધિકારીઓ આયર્લેન્ડના ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છે. જો કે, પીસીબીના એક અધિકારીએ ESPNcricinfoને જણાવ્યું હતું કે તમામ સભ્યોને સમયસર વિઝા આપવાની જવાબદારી આઇરિશ બોર્ડની છે.

પાકિસ્તાને 10 મેથી 14 મે સુધી આયર્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ ટૂંકો પ્રવાસ હોવાથી આમિર આ સિરીઝ રમવા અંગે શંકા ઉભી થઈ છે.

આમિરને વિઝા મળવામાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી. પાકિસ્તાન મેનેજમેન્ટના અન્ય એક સભ્ય મોહમ્મદ યુસુફને પણ વિઝા માટે મંજુરી મળવામાં વિલંબ થયો હતો, જો કે તેને પાકિસ્તાન ટીમના પ્રસ્થાન પહેલા વિઝા મળી ગયા હતા. આમિરે વિઝા માટે અરજી કરવામાં વિલંબ કર્યો હતો કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ નથી, જોકે PCBના જણાવ્યા અનુસાર, આમિરે ટીમના અન્ય સભ્યો સાથે વિઝા માટે અરજી કરી હતી.

આમિરે અગાઉ 2018માં આયર્લેન્ડની મુલાકાત લીધી હતી, જ્યારે આયર્લેન્ડે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આમિરે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે, તેણે આ વર્ષે નિવૃત્તિ પાછી ખેંચી લીધી અને ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું.

Exit mobile version