ઈંગ્લેન્ડે તાજેતરમાં પાકિસ્તાનને 7 T20 મેચોની શ્રેણીમાં 4-3થી હરાવ્યું હતું. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સિવાય પાકિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
આ કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. 7મી T20 મેચ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન મોઈન અલીએ એક અનોખું નિવેદન આપ્યું છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
મોઈન અલીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં સિરીઝ જીત્યા બાદ પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે તેને લાહોરનું ભોજન પસંદ નથી. તેણે કહ્યું કે કરાચીમાં ભોજન વધુ સારું હતું. લાહોરના ભોજનથી તે નિરાશ દેખાયો હતો. વધુમાં બોલતા તેણે કહ્યું કે પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સારી થહી ગઈ છે. ઈંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન જોસ બટલર પાકિસ્તાન સામેની શ્રેણીમાં રમ્યો ન હતો. આવી સ્થિતિમાં તેની જગ્યાએ મોઈન અલીએ કેપ્ટનશિપની જવાબદારી લીધી.
ઈંગ્લેન્ડે 17 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ટી-20 વર્લ્ડ કપ 2022 પહેલા પણ બંને ટીમોની તૈયારીઓની દૃષ્ટિએ આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે અચાનક પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો, જે બાદ ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાન સામેની સીરીઝ રદ્દ કરી દીધી હતી.