T20 વર્લ્ડ કપ 2021માં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી શકી નથી.
ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 15 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જ્યારે ભારતીય ટીમ માત્ર ત્રણ મેચ હારી છે. ટીમ ઈન્ડિયાનો નવો અભિગમ જોખમી છે, પરંતુ તે ભારતીય ટીમને જીત અપાવી રહ્યો છે. ભારતીય ટીમ હવે પહેલા કરતા વધુ સારી રીતે રમી રહી છે અને દબાણને સારી રીતે હેન્ડલ કરી રહી છે. આ નવી ટીમ ઈન્ડિયાને જોઈને શોએબ અખ્તરે કહ્યું કે હવે પાકિસ્તાન માટે ભારતને હરાવવું આસાન નહીં હોય.
ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષમાં બે વખત પાકિસ્તાન સામે T20 મેચ રમવાની છે. પહેલા એશિયા કપમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે અને ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2022માં બંને ટીમો 23 ઓક્ટોબરે સામસામે ટકરાશે. શોએબ અખ્તરનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખૂબ જ કપરી હશે, પરંતુ તેણે આશા વ્યક્ત કરી કે ટીમ ઈન્ડિયા આ વખતે સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. તેણે કહ્યું કે ભારત આ વખતે સંપૂર્ણ પ્લાનિંગ સાથે આવશે અને આ T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવવું પાકિસ્તાન માટે આસાન નહીં હોય.
શોએબ અખ્તરનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કઈ ટીમ જીતશે તે કહેવું સરળ નથી, પરંતુ આ મેચમાં પાકિસ્તાનની ટીમે બીજા દાવમાં બોલિંગ કરવી જોઈએ કારણ કે મેલબોર્નની પીચ પર ફાસ્ટ બોલરો બાઉન્સની આશા રાખે છે. એટલે કે શોએબ અખ્તરનું માનવું છે કે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ. શોએબ અખ્તરે એમ પણ કહ્યું કે આ વખતે બંને દેશો વચ્ચેની મેચ જોવા માટે 1,50,000 દર્શકો મેલબોર્ન આવવાની અપેક્ષા છે, જેમાં 70,000 ભારતીય ચાહકો હશે.