ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમી રહેલા સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ ભારતીય બેટ્સમેનની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે અને મળતી માહિતી મુજબ તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. ભારતીય ટીમે ઘરઆંગણે IPL પછી તરત જ આ શ્રેણી રમવાની છે.
IPLની આ સિઝનમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું છે. ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમારની રમત હજુ પણ સારી દેખાતી હતી. આ સિઝનમાં તેણે 8 મેચ રમી છે, તેણે 43ની એવરેજથી 303 રન બનાવ્યા છે, જેમાં 68 રનની અણનમ ઈનિંગ સાથે 3 અડધી સદી સામેલ છે. મુંબઈની ટીમ તેની છેલ્લી 11 મેચમાં માત્ર બે જ જીત નોંધાવવામાં સફળ રહી છે.
IPLની આ સિઝનની ફાઇનલ મેચ 29 મેના રોજ રમાશે. આ પછી ભારતીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સાથે 5 મેચની T20 શ્રેણી રમશે. આ મેચો 9 જૂનથી 19 જૂન સુધી રમાશે. સૂર્યકુમારને ઈજાના કારણે આગામી ચાર સપ્તાહ સુધી ક્રિકેટના મેદાનની બહાર રહેવું પડી શકે છે. તે મુજબ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં તેના રમવા પર શંકા છે.
સૂર્યકુમાર યાદવને તેના ડાબા હાથના સ્નાયુમાં ઈજા થઈ હતી અને તેની ઈજા ગંભીર હોવાથી તે સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આઈપીએલ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણી દરમિયાન સૂર્યા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તે શરૂઆતની મેચોમાં ટીમનો ભાગ નહોતો. ઈજાના કારણે તેને શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું.