ટી-20 વર્લ્ડ કપ 2007માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડ સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું હતું. ભારતીય ચાહકોને હજુ પણ યુવરાજની આ 6 છગ્ગા યાદ છે, જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ ભાગ્યે જ તે ક્ષણ ફરીથી યાદ કરવા માંગશે.
જો કે, હવે બ્રોડે ખુલાસો કર્યો છે કે તે નસીબદાર હતો કે દક્ષિણ આફ્રિકામાં ICC T20 વર્લ્ડ કપ 2007માં યુવરાજ સિંહ દ્વારા ફટકારવામાં આવેલી છ છગ્ગા દરમિયાન તેને નો-બોલ આપવામાં આવ્યો ન હતો. અન્યથા યુવરાજ તેની ઓવરમાં છને બદલે સાત સિક્સર ફટકારી શક્યો હોત. ડરબનમાં સુપર 8ની રમતમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ સિક્સર ફટકારી હતી, જે ભારતીય ઇનિંગ્સની 19મી ઓવર હતી.
ભારતીય ટીમે તે મેચમાં નિર્ધારિત 20 ઓવરમાં 218/4 રન બનાવ્યા હતા, જ્યારે યુવરાજે 16 બોલમાં 58 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તે મેચમાં, ઇંગ્લિશ ટીમ 18 રને મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
આ ઈનિંગ બાદ યુવરાજે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં પણ શાનદાર બેટિંગ કરી હતી અને 30 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે ટૂર્નામેન્ટમાં 30ની એવરેજ અને 194.73ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. બ્રોડે ભારત સામે પોતાની ચાર ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 60 રન આપ્યા હતા.