પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે બાંગ્લાદેશ જઈ રહી છે. આ શ્રેણી 21 ઓગસ્ટથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ રાવલપિંડીમાં અને બીજી મેચ કરાચીમાં રમાશે.
હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટનને શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. જેનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે. પાકિસ્તાન ટેસ્ટ ટીમના મુખ્ય કોચે આ જાણકારી આપી છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહીન આફ્રિદી બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર રહી શકે છે. વાસ્તવમાં, શાહીન તેના પહેલા બાળકના જન્મને કારણે સિરીઝ ચૂકી શકે છે. શાહીને ફેબ્રુઆરી 2023માં અંશા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ શાહીન અને અંશા પહેલીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. બંને પોતાના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આફ્રિદીને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રહેવું પડી શકે છે.
જિયો ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાન ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પીએ કહ્યું કે શાહીનને તેના પહેલા બાળકના જન્મને કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર બેસવું પડી શકે છે. આવા સમયે, જો શાહીન તેની પત્ની સાથે સમય પસાર કરવા માંગે છે, તો બોર્ડ તેને જગ્યા આપશે.
શાહીન વિશે ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે ગેરવર્તન કર્યું છે. અહેવાલો અનુસાર, આ ઘટનાઓ T20 વર્લ્ડ કપ 2024 પહેલા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 શ્રેણી દરમિયાન બની હતી. આ શ્રેણી દરમિયાન શાહીન અને બેટિંગ કોચ મોહમ્મદ યુસુફ વચ્ચે વિવાદ થયો હતો. આટલું જ નહીં, બાદમાં શાહીને યુસુફની તેના વર્તન માટે માફી પણ માંગી હતી.