ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ના અંત પછી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ટીમને 9 જૂનથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી રમવાની છે, જ્યારે ટેસ્ટ ટીમ 16 જૂને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાની છે.
એવું માનવામાં આવે છે કે 22 મેના રોજ ટી20 સીરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે અને તેની સાથે આયર્લેન્ડ પ્રવાસ પર રમાનાર બે મેચની ટી20 સીરીઝ માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.
દરમિયાન, એવા અહેવાલો છે કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ વોર્મ-અપ મેચ રમશે. આ ત્રણેય મેચ 24 જૂનથી લેસ્ટરશાયર સામે રમાવાની છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમે 1 થી 5 જુલાઈ દરમિયાન એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. આ ટેસ્ટ ગયા વર્ષે જ રમાવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, પ્રેક્ટિસ મેચ ચાર દિવસની હશે ઉપરાંત એક ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમાશે. આયર્લેન્ડ પ્રવાસ પર, ભારતીય ટીમ ડબલિનમાં 26 અને 28 જૂને આયર્લેન્ડ સાથે બે મેચની T20 શ્રેણી રમવાની છે.
ભારતીય ટીમ ત્રણ મેચની ODI અને T20I શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ સામે બે વોર્મ-અપ મેચ રમશે. વોર્મ-અપ મેચો અનુક્રમે ડર્બીશાયર અને નોર્થમ્પટનશાયર સામે 1 અને 3 જુલાઈના રોજ રમાય તેવી અપેક્ષા છે. બંને ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન બર્મિંગહામમાં રમાશે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ, ટેસ્ટ, ODI અને T20I માટે ઇંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમની જાહેરાત આવતા અઠવાડિયે થવાની ધારણા છે.