TEST SERIES

કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે આ કારણે કેએસ ભરતને વિકેટ કીપરની જવાબદારી મળી

કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે સવારે ભારતીય ટીમને આંચકો લાગ્યો હતો. ઈજાના કારણે વિકેટકીપર રિદ્ધિમાન સાહા મેદાનમાં ઉતર્યો ન હતો.

ન્યૂઝીલેન્ડ સામેની મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી વિકેટકીપર સાહા ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવ્યો ન હતો. મળતી માહિતી મુજબ, તેણે ગરદનમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેના કારણે તે મેદાન પર ઉતરી શક્યો ન હતો. સાહાને આ મેચમાં તક મળી જ્યારે નિયમિત વિકેટકીપર રિષભ પંતને આરામ આપવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે ભારત મેચમાં ઉતરે તે પહેલા જ આ આંચકો લાગ્યો હતો.

બીસીસીઆઈએ સાહાની ઈજા અંગે માહિતી આપી હતી. કહેવામાં આવ્યું હતું કે તેની ગરદન પર તાણ છે અને BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. ટીમ સાહાના સ્વાસ્થ્યની સુધારણા પર ધ્યાન આપી રહી છે. તેની ગેરહાજરીમાં કેએસ ભરત ભારતીય ટીમ માટે વિકેટકીપિંગ કરી રહ્યો છે. 

ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવનાર કેએલએસ ભરતને ટીમમાં રિઝર્વ વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. પસંદગીકારોએ તેને વિકેટકીપરના વિકલ્પ તરીકે ટીમમાં જગ્યા આપી હતી. આઈપીએલમાં પણ ભરતે પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સાહાની ઈજા બાદ તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્રવેશવાની તક મળી હતી.

 

Exit mobile version