શ્રીલંકાની ટીમ આ દિવસોમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. હાલમાં જ બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ હતી. બાંગ્લાદેશની ટીમે આ શ્રેણી જીતી લીધી છે. હવે આ બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થશે.
જેમાં શ્રીલંકાનો એક સ્ટાર ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. શ્રીલંકાના આ ખેલાડીએ અગાઉ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો પરંતુ હવે આ ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
વનડે શ્રેણી બાદ હવે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. શ્રીલંકાએ પણ આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ટીમનો સ્ટાર સ્પિન બોલર વાનિન્દુ હસરંગા પણ સામેલ છે. ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં હસરંગાનું નામ જોઈને ફેન્સ થોડા આશ્ચર્યમાં છે, કારણ કે હસરંગાએ વર્ષ 2023માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં, તે સમયે હસરંગા સફેદ બોલના ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માંગતો હતો, જેના માટે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે હસરંગાએ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો છે.
તમને જણાવી દઈએ કે, વાનિંદુ હસરંગાએ વર્ષ 2020માં શ્રીલંકન ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ હસરંગાએ ટીમ માટે માત્ર 4 ટેસ્ટ મેચ રમી હતી. હસરંગાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઓગસ્ટ 2021માં રમી હતી. હવે ફરી એકવાર હસરંગા ટેસ્ટ ક્રિકેટ રમવા જઈ રહ્યો છે.
ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 માર્ચથી શરૂ થશે જ્યારે બીજી અને છેલ્લી મેચ 30 માર્ચે રમાશે.
The Sri Lanka Cricket Selection Committee selected the below-given 17-member squad to take part in the Test series against Bangladesh. #BANvSL pic.twitter.com/KbNNW6xYOY
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 18, 2024
