
ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. આ પછી એવી આશા હતી કે KL રાહુલ અને મયંક અગ્રવાલ કિવી ટીમ સામેની બે ટેસ્ટ મેચમાં ભારત માટે ઓપનિંગ કરશે, પરંતુ કાનપુર ટેસ્ટ મેચ પહેલા કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયો અને તે હવે બંને ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
જોકે હવે ફાઈનલ થઈ ગયું છે કે, કેએલ રાહુલની ગેરહાજરીને કારણે કાનપુર ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલ અને શુભમન ગિલ ભારત માટે ઓપનિંગ કરી શકે છે.
કેએલ રાહુલની ઈજા પહેલા એવું માનવામાં આવતું હતું કે શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે, પરંતુ તે ઓપનિંગ નહીં કરે પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે. હવે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, એવી શક્યતા છે કે મયંક અગ્રવાલ સાથે શુભમન ગિલ કાનપુર ટેસ્ટમાં ભારત માટે બેટિંગની શરૂઆત કરી શકે છે. જો કે કેએલ રાહુલની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે.
નિયમિત સુકાની વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે અને અજિંક્ય રહાણે ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. કેન વિલિયમસનની ટીમ સામે રહાણે માટે કંઈ પણ આસાન નહીં હોય કારણ કે અત્યારે ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને રિષભ પંત જેવા બેટ્સમેન નથી. આ તમામ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં રહાણેની ટેસ્ટ કેપ્ટનશિપની ન્યુઝીલેન્ડ સામે મોટી કસોટી થવાની છે.
