
ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે બેટિંગની પ્રેક્ટિસ કરી હતી, જેના કારણે મંગળવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં તેની રમવાની શક્યતા વધી ગઈ છે.
કોહલીની પીઠના ઉપરના ભાગમાં જડતા હતી અને તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી. રવિવારની પ્રેક્ટિસ દરમિયાન, કોહલી કવર ડ્રાઇવ અને ઓફ ડ્રાઇવ પર વધુ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો અને તેની પ્રેક્ટિસથી તેને રમવાની આશા મળી છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ આશા વ્યક્ત કરી હતી કે તે નિર્ણાયક માટે ફિટ થશે.
જો કોહલીને મેચ ફીટ જાહેર કરવામાં આવે તો હનુમા વિહારી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ જશે કારણ કે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાએ જોહાનિસબર્ગમાં બીજી ઈનિંગમાં અડધી સદી સાથે ત્રીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન પુનઃ પ્રાપ્ત કર્યું હતું. જોહાનિસબર્ગમાં હાર ભૂલીને ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાના ઉદ્દેશ્ય સાથે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ માટે પ્રેક્ટિસ કરી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમની તસવીર સાથે ટ્વિટ કર્યું, ‘અમે અહીં સુંદર કેપટાઉનમાં છીએ. ટીમે ત્રીજી ટેસ્ટ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ત્રણ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. અહીં ત્રીજી ટેસ્ટ 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રમાશે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માંગતા ભારતે સેન્ચુરિયન ખાતેની શરૂઆતની મેચમાં 113 રનની જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી પરંતુ જોહાનિસબર્ગ ખાતેની બીજી ટેસ્ટમાં તેને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમ શનિવારે કેપટાઉન પહોંચી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું ત્રીજી મેચમાં રમવું શંકાસ્પદ છે. તે બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્થાને ઈશાંત શર્મા અથવા ઉમેશ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
