T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડની ટીમના ઓપનર એલેક્સ હેલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે ટીમના કેપ્ટન જોસ બટલરની સાથે મળીને 170 રનની ઐતિહાસિક ભાગીદારીના આધારે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.
આ મેચમાં હેલ્સે 86 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ નોકઆઉટ મેચમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ હેલ્સે BCCI પર પ્રહારો કર્યા છે.
ઈંગ્લિશ ટીમના 33 વર્ષીય બેટ્સમેને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની હાર માટે ભારતીય ક્રિકેટ બોર્ડને જવાબદાર ઠેરવ્યું છે. બોર્ડ પર કટાક્ષ કરતા તેણે (એલેક્સ હેલ્સ) કહ્યું કે, ભારતીય ખેલાડીઓને અલગ-અલગ વિદેશી લીગમાં રમવાની તક ન મળે તે શરમજનક છે. વિદેશી લીગમાં રમવું દરેક માટે સારું છે. તે ખેલાડીઓ માટે તેમજ વિદેશી લીગ માટે પણ ફાયદાકારક રહેશે.
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ બોર્ડે વિદેશી લીગમાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પાછળનું કારણ શું છે? આ સમજની બહાર છે. જોકે, એવું માનવામાં આવે છે કે વિદેશી લીગમાં ભારતીય ખેલાડીઓના રમવાથી આઈપીએલ જેવી લીગની લોકપ્રિયતા જોખમાઈ શકે છે. તેની અસર દર્શકોની સંખ્યા પર પણ પડી શકે છે.