બુધવારે બાંગ્લાદેશ ક્રિકેટ માટે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. ટીમના ભૂતપૂર્વ સ્પિનર મુશર્રફ હુસૈનનું માત્ર 40 વર્ષની વયે નિધન થયું છે. ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર હુસૈન લાંબા સમયથી સારવાર હેઠળ હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ જાણકારી આપી છે. બીસીબીએ ટ્વિટર પર 40 વર્ષીય હુસૈનના મૃત્યુની જાહેરાત કરી હતી. પત્ની ઉપરાંત હુસૈનનો એક સંતાન છે.
BCBએ ટ્વિટ કર્યું, ‘BCB બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી મુશર્રફ હુસૈન રૂબેલના નિધન પર શોક વ્યક્ત કરે છે. ડાબા હાથના સ્પિનરે તેની બે દાયકાની કારકિર્દી દરમિયાન તમામ ફોર્મેટમાં 550 થી વધુ વિકેટ લીધી છે. BCB તેની સહાનુભૂતિ અને શોક વ્યક્ત કરે છે.
ESPNcricinfo અનુસાર, હુસૈનનું મંગળવારે નિધન થયું હતું. તે મગજના કેન્સર સામે લડી રહ્યો હતો. માર્ચ 2019 માં તેમને આ રોગ હોવાનું નિદાન થયું હતું. સારવાર બાદ તે રોગમાંથી સાજો થઈ ગયો, પરંતુ નવેમ્બર 2020માં ગાંઠ ફરી સામે આવી. હુસૈન બે અઠવાડિયાથી વધુ સમયથી હોસ્પિટલમાં હતા પરંતુ હાલમાં જ કીમોથેરાપી બાદ ઘરે પરત ફર્યા હતા.
1981માં ઢાકામાં જન્મેલા, હુસેને 2008 અને 2016 વચ્ચે બાંગ્લાદેશ માટે પાંચ વનડે રમી અને આ સમયગાળા દરમિયાન ચાર વિકેટ લીધી. હુસેન બાંગ્લાદેશમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 3000 રન અને 300 વિકેટની સિદ્ધિ હાંસલ કરનાર સાત ક્રિકેટરોમાંથી એક છે. 2013 બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ફાઇનલમાં હુસૈનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
The Bangladesh Cricket Board (BCB) mourns the passing of former Bangladesh National Team player Musharraf Hossain Rubel.The left-arm spinner amassed over 550 wickets across all formats in a career spanning two decades. The BCB extends profound sympathies and condolences.#BCB pic.twitter.com/mKJaslFU9q
— Bangladesh Cricket (@BCBtigers) April 19, 2022