આ વર્ષે શ્રીલંકા અને પાકિસ્તાનમાં એશિયા કપ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પહેલા આ ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનમાં રમવાની હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કર્યા બાદ ACC એ સ્થળને લઈને ફેરફાર કર્યો હતો.
જે બાદ ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. જોકે પાકિસ્તાન હજુ પણ આ ટુર્નામેન્ટનું યજમાન છે. આ ટુર્નામેન્ટ માટે અત્યાર સુધીમાં ત્રણ ટીમો (પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ)ની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાન હજુ સુધી તેની જાહેરાત કરી નથી. દરમિયાન એશિયા કપની મેચોની ટિકિટોની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે જાહેરાત કરી છે કે શ્રીલંકામાં રમાનારી તમામ મેચોની ટિકિટોનું વેચાણ 17 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. ટિકિટ pcb.bookme.pk પર ઉપલબ્ધ થશે. ટિકિટના વેચાણની જાહેરાત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવશે. શ્રીલંકા લેગ માટે ટિકિટ વેચાણનો બીજો તબક્કો 17 ઓગસ્ટે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટિકિટ વેચાણના આ બીજા તબક્કામાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચનો પણ સમાવેશ થશે. તો આ સમયે તમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ પણ બુક કરાવી શકશો.
શ્રીલંકામાં ફાઈનલ સહિત નવ મેચ રમાશે. શ્રીલંકા તબક્કાની શરૂઆત 31 ઓગસ્ટના રોજ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચથી થશે. ગયા અઠવાડિયે પાકિસ્તાનમાં એશિયા કપની મેચોની ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ મુલતાનમાં શરૂ થશે જ્યારે યજમાન પાકિસ્તાન 30 ઓગસ્ટે નેપાળ સામે રમશે. આ સિવાય પીસીબી દ્વારા ચાહકો માટે કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે અંતર્ગત ચાહકો એક આઈડી કાર્ડ પર માત્ર ચાર ટિકિટ બુક કરાવી શકશે, જ્યારે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ માટે એક આઈડી કાર્ડ પર માત્ર બે ટિકિટ જ ખરીદી શકાશે.