ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી બે મેચની T20 શ્રેણી પહેલા સૌથી મોટી ચર્ચા યુવા બેટર વૈભવ સૂર્યવંશીને લઈને થઈ રહી છે. માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર દેખાઈ રહ્યો છે. જો તેને પ્રથમ T20માં તક મળે તો ટીમમાંથી કયા ખેલાડીને બહાર બેસાડવામાં આવશે તે મોટો સવાલ બન્યો છે.
તાજેતરના IPL સીઝનમાં વૈભવે પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની શાનદાર ફોર્મને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. હવે ક્રિકેટ ચાહકો આતુરતાથી તેની ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં ઈશાન કિશનને બહાર બેસવું પડી શકે છે, જ્યારે સંજુ સેમસન વિકેટકીપર તરીકે મધ્યક્રમમાં રમતા જોવા મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે અને તેથી વૈભવને પ્રથમ જ મેચમાં મોકો મળવાની શક્યતા મજબૂત માનવામાં આવી રહી છે.
ભારતીય ટીમને શ્રેણી પહેલાં ઈજાના કારણે ઝટકો પણ લાગ્યો છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. જેના કારણે પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ટીમ નવા યુગની શરૂઆત કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરાવવાનો નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તેને તક મળશે તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડીઓમાં સ્થાન મેળવી શકે છે. હવે સૌની નજર 26 જૂનની પ્રથમ T20 મેચ પર ટકેલી છે, જ્યાં વૈભવ સૂર્યવંશીનું સપનું સાકાર થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

