
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આ દિવસોમાં NCAમાં છે અને પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2021 દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી અને તે હજુ પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો.
આને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારબાદ તેને NCA જવાની સલાહ આપવામાં આવી હતી જેથી કરીને તે સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં પરત ફરી શકે. આ બધાની વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર ઈજાથી પરેશાન થઈને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ એટલે કે ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યો છે.
હાર્દિક પંડ્યા તેની પીઠની સર્જરી બાદથી તેની ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તે આ દિવસોમાં બોલિંગ કરવામાં સક્ષમ નથી. ટી-20 વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં તેણે બોલિંગ કરી ન હતી અને આ માટે પસંદગીકારો અને તેની ઘણી ટીકા થઈ હતી. આ પછી, તેણે છેલ્લી બે લીગ મેચોમાં બોલિંગ કરી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. હવે ઇનસાઇડ સ્પોર્ટના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનું વિચારી રહ્યો છે.
ઈનસાઈડ સ્પોર્ટ સાથે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે હાર્દિક પંડ્યા પોતાનું સંપૂર્ણ ધ્યાન સફેદ બોલ ક્રિકેટ અને આઈપીએલ પર કેન્દ્રિત કરવા માંગે છે અને તેના કારણે તે આવું પગલું ભરવા માંગે છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ વર્ષ 2018માં ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર ચાલી રહ્યો છે.
