TEST SERIES

સિરાજની બોલાચાલી બાદ કમિલ મિશારાની વિકેટ

કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે મેદાન પર ક્રિકેટની સાથે રોમાંચક ‘સ્લેજિંગ’નો નજારો પણ જોવા મળ્યો. ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને શ્રીલંકાના બેટર કમિલ મિશારા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ મિશારા વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

શ્રીલંકાએ ત્રીજા દિવસની શરૂઆત 8 રન પર બે વિકેટથી કરી હતી. નાઇટવોચમેન પ્રભાત જયસૂર્યાની વિકેટ બાદ કમિલ મિશારા અને પસિન્દુ સૂર્યબંધારા ટીમની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મિશારા માત્ર 19 રન બનાવી શક્યો હતો.

મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ સતત મિશારા સાથે વાતચીત કરતો જોવા મળ્યો. બંને વચ્ચેની બોલાચાલી ત્રણ બોલ સુધી ચાલી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે અમ્પાયરે પણ વચ્ચે આવીને સિરાજ સાથે વાત કરી હતી. મિશારા શરૂઆતમાં આ વાતોથી ખાસ પ્રભાવિત થયો ન હોય તેમ દેખાતો હતો, પરંતુ ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગથી તેનો અંત લાવી દીધો.

પ્રસિદ્ધે શોર્ટ અને ઉછાળવાળી બોલ ફેંકી, જેને મિશારા યોગ્ય રીતે નિયંત્રિત કરી શક્યો નહીં. બોલ તેના ગ્લોવ્ઝને અડીને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં ગયો. આ રીતે મિશારાની ઇનિંગ્સ 19 રને સમાપ્ત થઈ.

આ પછી પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની ગતિ અને બાઉન્સથી શ્રીલંકાના બેટર્સ પર સતત દબાણ જાળવી રાખ્યું. તેણે કામિન્દુ મેન્ડિસની મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી અને ભારતને મેચમાં ફરી મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.

મેચના ત્રીજા દિવસે ભારતના બોલર્સના આક્રમક વલણ અને સિરાજની બોલાચાલીએ મુકાબલામાં વધુ રોમાંચ ઉમેર્યો છે. ભારતે શ્રીલંકા પર પોતાની પકડ મજબૂત બનાવી છે.

Exit mobile version