પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી ટીકાકારોના નિશાના પર છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ દિવસોમાં પાકિસ્તાનના પ્રવાસે છે, બંને વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે.
પાકિસ્તાન રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ મેચ અને ત્યારબાદ મુલતાનમાં રમાયેલી બીજી મેચ હારી ગયું છે અને આ સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મુલતાન ટેસ્ટની બીજી ઈનિંગમાં સસ્તામાં આઉટ થયેલા બાબર માટે ઘણી બૂમાબૂમ થઈ હતી. આ સિવાય મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેને ઘણા અઘરા સવાલોના જવાબ આપવા પડ્યા હતા. આ બધાની વચ્ચે બાબર આઝમે પોતાનો ફોટો શેર કરતા એક એવું ટ્વીટ કર્યું, જે વાયરલ થયું.
બાબર આઝમે પોતાનો ફોટો શેર કર્યો અને સાથે લખ્યું, ‘વખાણ ક્યારેય તમારા માથા પર ન જવા દો અને ક્યારેય ટીકાને દિલ પર ન લો.’ આ બે હાર સાથે પાકિસ્તાનની ટીમની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ ગુમાવી દીધી છે. આ સિરીઝમાં પાકિસ્તાન માટે મોટો ઝટકો એ છે કે શાહીન શાહ આફ્રિદીની ગેરહાજરીમાં નસીમ શાહ પણ ઈજાગ્રસ્ત થયો છે અને તે છેલ્લી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.
બેન સ્ટોક્સની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કર્યું છે. તેની ટીમ ભલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ જ્યારથી બેન સ્ટોક્સ કેપ્ટન બન્યા અને બ્રેન્ડન મેક્કુલમ મુખ્ય કોચ બન્યા ત્યારથી આ ટીમ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે.
Do not let compliments go to your head and criticism to your heart. pic.twitter.com/XqiIW3ScWN
— Babar Azam (@babarazam258) December 13, 2022