એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે 7 વિકેટની કારમી હારથી ભારતીય ટીમ સામે ઘણા મોટા સવાલો ઉભા થયા છે. પાંચમી ટેસ્ટની વાત કરીએ તો આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 3 દિવસ સુધી દબદબો રહ્યો, પરંતુ તે પછી ઈંગ્લેન્ડે આખો દાવ ફેરવી નાખ્યો.
પહેલા બેટ્સમેનોના ફ્લોપ શો અને પછી ચોથી ઇનિંગમાં બોલરોના પ્રદર્શને ભારતીય ચાહકો સહિત ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને નિરાશ કર્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે ટીમ ઈન્ડિયાને કેટલીક બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજી ઈનિંગમાં ફ્લોપ રહી હતી. પુજારા અને પંતને બાદ કરતાં કોઈ પણ બેટ્સમેન રન બનાવી શક્યા નહોતા, ભારતીય ટીમને નુકસાન સહન કરવું પડ્યું હતું અને ટીમ ઈંગ્લેન્ડ સામે 400થી વધુનો લક્ષ્યાંક રાખવામાં નિષ્ફળ રહી હતી.
સેહવાગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ટોપ 6 બેટ્સમેનોમાં પંત અને પૂજારા સિવાય એકપણ બેટ્સમેન રન બનાવી શક્યો નથી. જાડેજાએ સારી બેટિંગ કરી પરંતુ અમારે અમારી ટોપ ઓર્ડર બેટિંગમાં સુધારો કરવાની જરૂર છે. આ સિવાય સેહવાગે પણ ભારતીય બોલરો વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
તેણે કહ્યું કે ચોથી ઇનિંગમાં ભારતીય બોલિંગ એકદમ નિરાશાજનક હતી. આ સિવાય સેહવાગે ઈંગ્લેન્ડની ટીમની બેટિંગના વખાણ કર્યા હતા. તેણે ખાસ કરીને જો રૂટના વખાણ કર્યા અને કહ્યું કે તે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે આ સૌથી મોટા લક્ષ્યને હાંસલ કરવા માટે ઈંગ્લેન્ડને શુભેચ્છા પાઠવી હતી.
મેચની વાત કરીએ તો પ્રથમ દાવમાં 132 રનની લીડ લેવા છતાં ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજી ઈનિંગમાં ફ્લોપ રહી હતી અને સમગ્ર ટીમ માત્ર 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રૂટે બ્રિલિયન્ટ 142 અને જાની બેરસ્ટોના 114 રનની મદદથી માત્ર 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધું હતું.