ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થવામાં હવે વધુ દિવસો બાકી નથી. 22 માર્ચે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
ગત સિઝનમાં ખૂબ જ શરમજનક પ્રદર્શન કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આગામી સિઝનમાં નવા કેપ્ટન પેટ કમિન્સના નેતૃત્વમાં રમશે. હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં એડન માર્કરામને સુકાની પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે અને કમિન્સને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સે આ નિર્ણયને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, જેમાં તેણે આ નિર્ણય પાછળ ડેનિયલ વેટ્ટોરીની કોચ તરીકે નિમણૂકને કારણભૂત ગણાવ્યું છે.
એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, પેટ કમિન્સને ટીમનો કેપ્ટન બનાવવા પાછળ એક કારણ છે, જ્યારે આ નિર્ણય સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા હશે. દક્ષિણ આફ્રિકા T20 લીગમાં કેપ્ટન તરીકે માર્કરામે પોતાની ટીમને સતત બે વખત ટૂર્નામેન્ટ જીતાડવી છે. આના પરથી આપણે તેના નેતૃત્વનો અંદાજ મેળવી શકીએ છીએ અને તેથી જ દક્ષિણ આફ્રિકાના પ્રશંસકો અને મારા માટે, તેને સુકાનીપદેથી હટાવવાનો નિર્ણય ચોક્કસપણે નિરાશાજનક છે. મને લાગે છે કે તેને આઈપીએલમાં એક સિઝન અને પોતાને સાબિત કરવા માટે કેપ્ટનશિપની જવાબદારી આપવી જોઈતી હતી.