IPL 2024ની સફર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. ટીમે 10માંથી પાંચ મેચ જીતી છે., જોકે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. CSK ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. આવી સ્થિતિમાં, તેમને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે તેમની બાકીની મેચોમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેની આગામી મેચ HPCA ક્રિકેટ સ્ટેડિયમ, ધરમશાલા ખાતે રમવાની છે. જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે. છેલ્લી મેચમાં તેમને પંજાબ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે.
પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈમાં રમાયેલી મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના બે ખેલાડીઓ પોતાના દેશ પરત ફર્યા હતા, પરંતુ હવે આ બંને ખેલાડીઓ ભારત આવી ગયા છે અને CSK ટીમ સાથે પણ જોડાઈ ગયા છે. આ બે ખેલાડીઓ અન્ય કોઈ નહીં પરંતુ મતિશા પાથિરાના અને મહિષ તિક્ષાના છે.
વાસ્તવમાં આ વર્ષે જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ બંને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટ માટે વિઝા વેરિફિકેશન માટે તેમના દેશ શ્રીલંકા ગયા હતા. જો કે આ બંને ક્યારે પરત ફરશે તે અંગે કોઈ અપડેટ નથી, પરંતુ બંને ખેલાડીઓ નિર્ધારિત સમય પહેલા પરત ફર્યા છે. મતિષા પથિરાનાએ સોશિયલ મીડિયા દ્વારા તેના વાપસીની અપડેટ આપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 5 મેના રોજ મેચ રમવાની છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ઘાતક બોલર મુસ્તાફિઝુર રહેમાન સ્વદેશ પરત ફર્યો છે. હવે તે પોતાની રાષ્ટ્રીય ટીમમાં જોડાશે. બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઝિમ્બાબ્વે સામે 5 T20 મેચોની શ્રેણી રમશે.