IPL 2026માં આજે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં Punjab Kings અને Mumbai Indians વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે. જોકે મેચ પહેલાં જ વરસાદી માહોલે બંને ટીમોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે કાંગડા ઘાટીમાં ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે અને સાંજના સમયે ભારે વરસાદ તેમજ આંધીફૂફાનની આશંકા વ્યક્ત કરી છે.
હવામાન અહેવાલ મુજબ મેચ દરમિયાન 55થી 60 ટકા સુધી વરસાદની શક્યતા છે. ધર્મશાળાનું હવામાન પળવારમાં બદલાઈ જતું હોવાથી મેચમાં વિક્ષેપ અથવા સંપૂર્ણ રદ થવાની સંભાવના પણ નકારી શકાય તેવી નથી. ભારે વરસાદના કારણે બંને ટીમોના પ્રેક્ટિસ સેશન પણ અસરગ્રસ્ત થયા હતા. Mumbai Indiansએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ શેર કર્યો હતો.
આ મેચ ખાસ કરીને પંજાબ કિંગ્સ માટે અત્યંત મહત્વની છે. સિઝનની શરૂઆતમાં સતત સાત મેચ અપરાજિત રહેલી ટીમ છેલ્લા ચાર મુકાબલામાં હારી ગઈ છે. પંજાબનો પહેલાનો એક મુકાબલો પણ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જો આજની મેચ પણ રદ થાય તો પંજાબના 12 મેચ બાદ 14 પોઈન્ટ થશે, જે પ્લેઓફની રેસમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલની સ્થિતિમાં 16 પોઈન્ટ પર પણ પ્લેઓફનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું નથી.
બીજી તરફ Mumbai Indians પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, પરંતુ ટીમ માટે છેલ્લાં સ્થાન પર સમાપ્ત થવાનો ખતરો હજુ યથાવત છે. મુંબઈના 11 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે. સમાન પોઈન્ટ ધરાવતી Lucknow Super Giants કરતાં નેટ રનરેટ સારો હોવાને કારણે મુંબઈ હાલમાં નવમા સ્થાને છે. જો મેચ રદ થાય તો મુંબઈ માટે છેલ્લાં સ્થાને પહોંચવાનો ભય વધુ વધી શકે છે.

