Virat Kohliએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેને મોટા મેચોના ખેલાડી કેમ કહેવાય છે. Royal Challengers Bengaluruના સ્ટાર બેટરે Kolkata Knight Riders સામે શાનદાર અણનમ 105 રનની ઇનિંગ રમી ટીમને 6 વિકેટે યાદગાર જીત અપાવી. રાયપુરમાં રમાયેલા આ મુકાબલા બાદ વિરાટનું ભાવુક નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
મેચ બાદ કોહલીએ કહ્યું કે હવે તે રેકોર્ડ્સ પાછળ દોડતા નથી, પરંતુ ક્રિકેટની દરેક પળનો આનંદ માણવા માંગે છે. તેણે જણાવ્યું કે કરિયરના આ તબક્કે હવે તેને અનુભવ થવા લાગ્યો છે કે આ સફર હંમેશા નહીં ચાલે, તેથી મેદાન પર પસાર થતી દરેક ક્ષણને ખુલ્લેઆમ જીવવા માંગે છે. વિરાટે કહ્યું કે ક્રિકેટ આજે પણ તેના જીવનનો સૌથી મહત્વનો ભાગ છે અને મેદાન પર ઉતરવું તેના માટે ગૌરવની બાબત છે.
આ મેચમાં કોહલીએ અનેક મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂર્ણ કરનાર બેટર બન્યા. સાથે જ IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બનવાનો ગૌરવ પણ મેળવ્યો. આ તેની IPL કારકિર્દીની 279મી મેચ હતી.
આ શતક વિરાટ માટે એટલા માટે પણ ખાસ રહ્યું કારણ કે તે પહેલાં તે સતત બે મેચમાં ખાતું ખોલ્યા વગર આઉટ થયા હતા. Lucknow Super Giants અને Mumbai Indians સામેની નિષ્ફળતા બાદ તેની ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ KKR સામે તેણે શાનદાર વાપસી કરતાં માત્ર 32 બોલમાં અડધી સદી પૂર્ણ કરી અને ત્યારબાદ શતક સુધી પહોંચ્યા.
વિરાટે સ્વીકાર્યું કે છેલ્લા બે મેચની નિષ્ફળતાએ તેને માનસિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે. તેણે કહ્યું કે દબાણ જ ખેલાડીમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવે છે. 37 વર્ષની ઉંમરે પણ વિરાટ કોહલીએ સાબિત કરી દીધું કે મોટા મંચ પર ટીમને જીતાડવાની કળા આજે પણ તેની સૌથી મોટી ઓળખ છે.

