ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. જોકે, પૂર્વ ભારતીય લેગ સ્પિનર અને ગંભીરના પૂર્વ સાથી ખેલાડી અમિત મિશ્રાએ તેના સમર્થનમાં મહત્વનું નિવેદન આપ્યું છે. મિશ્રાનું માનવું છે કે ગંભીરને ટીમ સાથે કામ કરવા માટે વધુ સમય આપવો જોઈએ અને માત્ર કોચને જ નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.
ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ટી20 વર્લ્ડ કપ 2026 જેવા મોટા ખિતાબ જીત્યા છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભારતને ઘરઆંગણે બે ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ ટીમને હાર મળી હતી. આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં પણ ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આ સ્થિતિ વચ્ચે અમિત મિશ્રાએ કહ્યું કે કોચ માટે આ સરળ કામ નથી. તેના મતે ખેલાડીઓએ પણ પોતાની જવાબદારી સ્વીકારવી જરૂરી છે. ટેસ્ટ ટીમમાં ઘણા નવા અને ઓછા અનુભવી ખેલાડીઓ છે, તેથી કોચ અને ખેલાડીઓ બંનેને એકબીજા સાથે યોગ્ય રીતે તાલમેલ બેસાડવામાં સમય લાગશે.
મિશ્રાએ ખાસ કરીને રેડ-બોલ ક્રિકેટમાં ગંભીરને વધુ સમય આપવાની વાત કરી. તેણે કહ્યું કે કોચનું કામ ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું, માનસિક રીતે તૈયાર કરવાનું અને વ્યૂહરચના બનાવવાનું છે, પરંતુ મેદાન પર તે યોજનાને અમલમાં મૂકવાની જવાબદારી ખેલાડીઓની હોય છે.
ટેસ્ટ ટીમમાં સતત થતા ફેરફારોનો પણ મિશ્રાએ બચાવ કર્યો. તેના જણાવ્યા પ્રમાણે કોચ અને સપોર્ટ સ્ટાફ ખેલાડીઓ સાથે નેટ્સમાં ઘણો સમય વિતાવે છે, તેથી કયા ખેલાડીને કયા ક્રમ પર રમાડવો તે અંગે તેની પાસે વધારે માહિતી હોય છે. મિશ્રાએ સ્પષ્ટ કહ્યું કે ગંભીરને સમય આપવો જોઈએ અને ખેલાડીઓએ પણ પોતાની જવાબદારી વધુ સારી રીતે નિભાવવી જોઈએ.

