ODIS

46વર્ષ પહેલા બે ODI વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન પણ વૈભવ સૂર્યવંશીના ચાહક

ભારતીય ક્રિકેટનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી હાલમાં પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે સતત ચર્ચામાં છે. શ્રીલંકામાં યોજાયેલી ટ્રાય-નેશન સિરીઝના ફાઇનલમાં માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ્સ રમીને તેણે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ પૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડ કપ વિજેતા ક્લાઇવ લોયડે વૈભવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ક્લાઇવ લોયડે કહ્યું કે વૈભવ પાસે અસાધારણ પ્રતિભા છે અને તે ખૂબ જ રોમાંચક ખેલાડી છે. તેમના મતે BCCIએ આ યુવા બેટરને તેની સ્વાભાવિક આક્રમક બેટિંગ શૈલી જાળવી રાખવા દેવી જોઈએ. લોયડે ભારપૂર્વક જણાવ્યું કે વૈભવની સૌથી મોટી તાકાત તેની નિર્ભયતા અને ઝડપી રન બનાવવાની ક્ષમતા છે, તેથી તેને બદલવાનો પ્રયાસ કરવો યોગ્ય નહીં બને.

તાજેતરમાં વૈભવ શ્રીલંકા A સામેની મેચ બાદ થયેલા વિવાદને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. આ મામલે ક્લાઇવ લોયડે સલાહ આપી કે મેદાન પર કોઈ ખેલાડી દ્વારા ઉશ્કેરણી કરવામાં આવે તો તેનો જવાબ પોતે આપવાને બદલે મેચ અધિકારીઓને જાણ કરવી વધુ યોગ્ય છે. યુવા ખેલાડીઓએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું.

વૈભવ સૂર્યવંશીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ તોડ્યા છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યો છે. ઘણા પૂર્વ ક્રિકેટરો તેની પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે. ક્લાઇવ લોયડનું માનવું છે કે જો વૈભવને યોગ્ય માર્ગદર્શન અને પૂરતી સ્વતંત્રતા મળશે તો તે આગામી વર્ષોમાં વિશ્વ ક્રિકેટનો મોટો સ્ટાર બની શકે છે. હાલ BCCI પણ આ 15 વર્ષીય પ્રતિભાને ખાસ રીતે તૈયાર કરી રહી છે જેથી તે લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા આપી શકે.

Exit mobile version