OFF-FIELD

શોએબ અખ્તરના પરિવારમાં શોકની લાગણી

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના મોટા ભાઈ શાહિદ અખ્તરનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારની માહિતી ખુદ શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે ભાવુક સંદેશમાં જણાવ્યું કે તેના પ્રિય મોટા ભાઈ હવે આ દુનિયામાં રહ્યા નથી અને તેઓ અલ્લાહ પાસે પરત ફર્યા છે. જોકે, શાહિદ અખ્તરના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

શોએબ અખ્તરે પોતાના સંદેશમાં લખ્યું કે જનાજાની નમાઝનો સમય અને સ્થળ અંગેની માહિતી બાદમાં આપવામાં આવશે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ સહિત અનેક પૂર્વ ક્રિકેટરો, ચાહકો અને શુભેચ્છકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી શોએબ અને તેના પરિવારને હિંમત આપવા પ્રાર્થના કરી.

અહેવાલો અનુસાર, શાહિદ અખ્તર માત્ર શોએબના મોટા ભાઈ જ નહોતા, પરંતુ તેમના ક્રિકેટિંગ જીવનના સૌથી મોટા આધારસ્તંભ પણ હતા. શોએબ જ્યારે ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવાનો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે શાહિદે તેને સતત પ્રોત્સાહન અને માનસિક સહારો આપ્યો હતો. કારકિર્દી દરમિયાન આવેલા અનેક પડકારો અને વિવાદોમાં પણ તેઓ હંમેશા શોએબની સાથે મજબૂતાઈથી ઊભા રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં શોએબ અખ્તરે આ બીજી મોટી પારિવારિક ક્ષતિ સહન કરી છે. વર્ષ 2021માં તેની માતાનું પણ અવસાન થયું હતું અને હવે મોટા ભાઈના નિધનથી તેઓ ફરી એકવાર વ્યક્તિગત દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. ક્રિકેટપ્રેમીઓ અને ચાહકો સોશિયલ મીડિયા મારફતે સતત તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તેજ શાહિદ અખ્તરના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Exit mobile version