OTHER LEAGUES

આર્યવીર સેહવાગની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સહવાગને ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમના ભારત પ્રવાસ માટે BCCIએ ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. આર્યવીરને ત્રણ મેચની વનડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ ભારત પ્રવાસ દરમિયાન ત્રણ વનડે અને બે મલ્ટી-ડે મેચ રમશે. પ્રથમ વનડે મુકાબલો 18 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ત્યારબાદ 21 અને 23 સપ્ટેમ્બરે પણ રાજકોટમાં જ બે વનડે મેચ યોજાશે. મલ્ટી-ડે સિરીઝની પ્રથમ મેચ 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટમાં, જ્યારે બીજી મેચ 5થી 8 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં રમાશે.

18 વર્ષીય આર્યવીર ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. તેના પિતા વિરેન્દ્ર સેહવાગ ભારતના સૌથી આક્રમક ઓપનિંગ બેટ્સમેનોમાં ગણાય છે. હવે આર્યવીરને પણ ભારતીય અંડર-19 સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક મળી છે.

આ ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ સ્થાન મળ્યું છે. અન્વય વિકેટકીપર-બેટ્સમેન છે. તેણે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારત અંડર-19 માટે બે વનડે મેચ રમી હતી, જેમાં તેણે 87 અને 14 રનની ઇનિંગ્સ રમી હતી.

ભારતીય અંડર-19 વનડે ટીમની કમાન લક્ષ્ય રાયચંદાનીને સોંપવામાં આવી છે, જ્યારે યશવર્ધન ચૌહાણ ઉપકપ્તાન રહેશે. આર્યવીર અને અન્વય બંને માટે આ સિરીઝ પોતાની પ્રતિભા દર્શાવવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે. ક્રિકેટ ચાહકોની નજર ખાસ કરીને આર્યવીરના પ્રદર્શન પર રહેશે, કારણ કે હવે સહવાગ પરિવારની આગામી પેઢી પણ ભારતીય ક્રિકેટના માર્ગે આગળ વધી રહી છે.

Exit mobile version