T-20

સરેરાશ ફિલ્ડરોને ટીમમાંથી બહાર કરો

ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણી 3-0થી પોતાના નામે કરી હોવા છતાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ટીમના પ્રદર્શનથી સંપૂર્ણ રીતે ખુશ નથી. ખાસ કરીને ટીમના નબળા ફિલ્ડિંગ પ્રદર્શન પર તેમણે કડક શબ્દોમાં ટીકા કરી છે. ગાવસ્કરનું માનવું છે કે માત્ર બેટિંગ અને બોલિંગથી મેચ જીતી શકાય નહીં, આધુનિક ક્રિકેટમાં ફિલ્ડિંગ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

ગાવસ્કરે કહ્યું કે જો કોઈ ખેલાડી સતત સરેરાશ કે નબળું ફિલ્ડિંગ કરે છે તો તેને ટીમમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે. તેના જણાવ્યા અનુસાર કેપ્ટનને એવા ત્રણ-ચાર ખેલાડીઓને છુપાવવાની ફરજ ન પડવી જોઈએ કે જેમની તરફ બોલ ન જાય તેવી આશા રાખવી પડે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક ખેલાડીએ રન બચાવવા અને કેચ પકડવાની જવાબદારી નિભાવવી જ જોઈએ.

ઝિમ્બાબ્વે સામેની શ્રેણી દરમિયાન ભારતીય ખેલાડીઓએ અનેક સરળ કેચ છોડ્યા હતા અને ફિલ્ડિંગમાં પણ અનેક ભૂલો કરી હતી. ગાવસ્કરના મતે આવી ભૂલો મોટી ટૂર્નામેન્ટોમાં ટીમને ભારે પડી શકે છે. તેણે પસંદગીકારોને સંદેશ આપ્યો કે ફિલ્ડિંગના ધોરણો સાથે કોઈ સમાધાન ન કરવું જોઈએ.

ગાવસ્કરે માત્ર ફિલ્ડિંગ જ નહીં પરંતુ ભારતીય બેટ્સમેનોના શોટ સિલેક્શન પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બેટ્સમેનોએ પોતાની છબી જાળવવા માટે બિનજરૂરી મોટા શોટ રમવાને બદલે મેચની પરિસ્થિતિને સમજીને બેટિંગ કરવી જોઈએ. ટી20માં આક્રમકતા જરૂરી છે, પરંતુ વનડે અને અન્ય ફોર્મેટમાં ધીરજ રાખીને યોગ્ય બોલરની રાહ જોવી વધુ મહત્વપૂર્ણ છે.

ગાવસ્કરના મતે સ્માર્ટ ક્રિકેટ રમવું આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત છે. દરેક બોલર સામે આક્રમક થવાની જરૂર નથી, પરંતુ જે બોલર સામે રન બનાવવાની તક મળે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેના આ નિવેદન બાદ ભારતીય ટીમના ફિલ્ડિંગ ધોરણો અને ટીમ પસંદગી અંગે ફરી ચર્ચા તેજ બની છે.

Exit mobile version