T-20

ટીમ ઈન્ડિયામાંથી બહાર થવા પર સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા

ભારતીય ક્રિકેટમાં તાજેતરમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. BCCI દ્વારા આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી T20 ટીમમાં સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે તેની જગ્યાએ શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ હતી.

ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યકુમાર યાદવે પોતાની પહેલી પ્રતિક્રિયા ઈન્સ્ટાગ્રામ પર આપી છે. તેણે એક ટૂંકો પરંતુ અર્થસભર સંદેશ શેર કરતાં ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. સૂર્યકુમારે લખ્યું કે આગળ પડકારો ભરેલો સમય છે, પરંતુ ટીમ પાસે તેને પાર કરવાની ક્ષમતા છે. તેણે યુવા ખેલાડીઓ સહિત સમગ્ર ટીમને “ઓલ ધ બેસ્ટ” કહી સમર્થન આપ્યું.

ખાસ વાત એ છે કે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે થોડા મહિના પહેલાં જ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો હતો. તેમ છતાં, પસંદગી સમિતિએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે અને શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપી છે.

સૂર્યકુમારની આ પ્રતિક્રિયાને ચાહકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે ટીમમાંથી બહાર થયા છતાં તેણે કોઈ વિવાદાસ્પદ નિવેદન આપવાને બદલે ટીમને સમર્થન આપીને એક સિનિયર ખેલાડી તરીકે પરિપક્વતા દર્શાવી છે.

હવે સૌની નજર એ વાત પર રહેશે કે સૂર્યકુમાર યાદવ આગામી ઘરેલુ અને IPL સીઝનમાં કેવું પ્રદર્શન કરે છે અને શું તેઓ ફરીથી ભારતીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહેશે કે નહીં. બીજી તરફ, શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય T20 ટીમ નવા યુગની શરૂઆત કરવા તૈયાર છે.

Exit mobile version