LATEST

ક્રિકેટરો નહીં તેમની પત્નીઓની પ્રોટેસ્ટ પરની પોસ્ટ બની ચર્ચાનો વિષય

નવી દિલ્હીમાં ચાલી રહેલા CJP પ્રદર્શનને લઈને ભારતીય ક્રિકેટરોની પત્નીઓ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ હાલમાં ચર્ચાનો વિષય બની છે. ટીમ ઈન્ડિયાના સક્રિય ખેલાડીઓ BCCIના નિયમોને કારણે રાજકીય અથવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર જાહેરમાં ટિપ્પણી કરવાનું ટાળે છે, પરંતુ તેની પત્નીઓની સોશિયલ મીડિયા પ્રતિક્રિયાઓએ ચાહકો અને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.

સૌથી પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં પ્રદર્શન દરમિયાન એક 9 વર્ષનો બાળક કહે છે કે તે દેશ માટે આવ્યો છે અને ભગતસિંહ જેવો બનવા માંગે છે. રિતિકાએ આ વીડિયો સાથે કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરી નહોતી, છતાં તેની પોસ્ટને ઘણા લોકોએ વિદ્યાર્થી આંદોલન પ્રત્યે સહાનુભૂતિ તરીકે જોઈ અને સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ચર્ચા શરૂ થઈ.

બીજી તરફ, જસપ્રીત બુમરાહની પત્ની અને પ્રેઝેન્ટર સંજના ગણેશને પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે જો પ્રદર્શનથી દૂર રહેલા નાના બાળકો પણ ટિયર ગેસની અસરનો ભોગ બને, તો તે કોઈપણ લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. તેણે શાંતિપૂર્ણ નાગરિકોને સુરક્ષાનો અનુભવ થવો જોઈએ તેવી વાત પર ભાર મૂક્યો હતો.

જ્યારે સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટીએ અલગ અભિપ્રાય રજૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે સરકારની ટીકા કરવી અને શાંતિપૂર્ણ વિરોધ કરવો લોકશાહીનો હિસ્સો છે, પરંતુ હિંસા, પોલીસ પર હુમલો, બેરિકેડ તોડવા અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું લોકશાહી નહીં પરંતુ કાયદાનું ઉલ્લંઘન છે. તેમના નિવેદનને પણ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ પોસ્ટ્સને માનવતાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક તેને વિવાદાસ્પદ મુદ્દા સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. જોકે, આ મામલે સંબંધિત ક્રિકેટરો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Exit mobile version