ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ઈયાન ચેપલે ઈન્દોર ટેસ્ટમાં ભારતની નવ વિકેટની હાર બાદ ટીમમાંથી હાર્દિક પંડ્યાની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે.
“ચેપલે ESPN ક્રિકઇન્ફોના એક કાર્યક્રમમાં કહ્યું, ‘હું સમજી શકતો નથી કે હાર્દિક પંડ્યા ટીમમાં કેમ નથી. લોકો કહેતા રહે છે કે તે આટલી બોલિંગ કરી શકતો નથી. પણ શું તમે ડોક્ટરોની વાત સાંભળો છો કે ક્રિકેટરોને? જો પંડ્યાને રમવું હોય તો તેણે ભારતીય ટીમમાં હોવું જોઈએ. તે એક સારો બેટ્સમેન છે. તે સારી બોલિંગ કરે છે અને ફિલ્ડર પણ શાનદાર છે.”
નોંધનીય છે કે પંડ્યાએ ભારત માટે છેલ્લી ટેસ્ટ 2018માં રમી હતી. અનુભવી ઓલરાઉન્ડર પંડ્યા મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતીય ટીમનો અભિન્ન ભાગ છે, જોકે તે પીઠની ઈજામાંથી સાજા થયા બાદ ટેસ્ટ ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.
ચેપલે કહ્યું કે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતનું એક કારણ કેમરન ગ્રીન પણ હતું. તેણે કહ્યું કે “જેમ ઑસ્ટ્રેલિયાને ઇલેવનમાં યોગ્ય સંતુલન બનાવવા માટે ગ્રીનની જરૂર છે, તેવી જ રીતે ભારતને પંડ્યાની જરૂર છે.”
ભારત પરંપરાગત રીતે ઘરેલું ટેસ્ટમાં બે ઝડપી બોલર રમવા માટે જાણીતું છે. ઈન્દોર ટેસ્ટમાં ભારતીય બેટિંગ લાઇન અપના પતનથી ટીમને બીજા બેટ્સમેનની જરૂર પડી. ચેપલ માને છે કે હાર્દિક જરૂર પડે સીમરની ભૂમિકા ભજવી શકે છે અને બેટથી પણ યોગદાન આપી શકે છે.